गुणातीतो अक्षरम ब्रह्म , भगवान पुरुषोत्तम
जनों जानंइदं सत्यं मुच्यते भव्बंध्नात ll
રવિસભા – એટલે કે આત્મા ના રીચાર્જ માટે સત્સંગ નું ચાર્જર…..! આપણા શાસ્ત્રોમાં કહેવાય છે એમ કે જ્યાં સુધી આપણે ” આપણા” સુધી ન પહોંચીએ ત્યાં સુધી હરિ નો માર્ગ દેખાતો નથી. અને વચનામૃત મા પણ કહ્યું છે કે – હરિ ને જાણવા- પામવા માટે , આત્મ જાગૃતિ અનિવાર્ય છે. છેલ્લા , રવિવારે – હું રવિસભા ને ચુકી રહ્યો હતો પણ સત્સંગ કે મારો હરિ- મારા થી સહેજ પણ દુર ન હતા. ગયા રવિવારે , હું વડતાલ હતો , અને શ્રીહરિ ના સામીપ્ય ને મનભરી ને પામી રહ્યો હતો. મારી જિંદગી મા કાલુપુર, વડતાલ, ગઢડા ના સ્વામીનારાયણ મંદિરો નું સ્થાન વિશેષ છે. મંદિર ની ભીંતો પર હાથ લગાવી ને – જાણે કે શ્રીજી અને એ સમય ના મોટેરા સંતો ના ચરણ નો સ્પર્શ કરી રહ્યો હોઉં એવું પ્રતીત થાય છે. જે લોકો મંદિર, સત્સંગ કે ભક્તિ નો મહિમા નથી જાણતા…..એ લોકો મારી આ લાગણી ને સમજી નહી શકે…..! ચાલ્યા કરે………………….
તો આજે સવારે અમે મારા પ્રિય સ્થળ આઈ આઈ એમ ના પ્રાંગણ મા હતા.. વર્ષ ના ત્રણ દિવસ માટે આવતો “ટ્રેડીશનલ ફૂડ ફેસ્ટીવલ” – એ એક અદભૂત અનુભવ છે( એના વિષે ની પોસ્ટ આવતી કાલે……) અને બપોરે ઘરે આવ્યા ત્યારે રીના ની તબિયત થોડી બગડી હતી. આથી , એને આરામ મા મૂકી , હું સમયસર મંદિરે પહોંચી ગયો. શ્રીજી ના દર્શન ની તાલાવેલી હતી કારણ કે ૧૫ દિવસ – કોરાકટ ગયા હતા( શાહીબાગ મંદિર માટે) ….આથી દર્શન કરવા ભાગ્યો. ધનુર્માસ ની શરૂઆત થઇ ગઈ છે અને શાસ્ત્રો મુજબ વિદ્યા ની , કળા ની ઉપાસના પણ શરુ થઇ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરો ની એક વિશેષતા મને હમેંશા ગમી છે કે- ભગવાન ના શણગાર પર થી જ લોકો ને, આપણા રીત રીવાજો અને પરંપરા ઓ નું તાદ્રશ્ય દર્શન થાય છે….અનુભવ થાય છે. જુઓ નીચેના ફોટા…..

આજ ના દર્શન.....
સભામાં ગોઠવાયા ત્યારે- કીર્તન ચાલી રહ્યું હતું. ” સદગુરુ નો મહિમા” જેવી થીમ પર આધારિત એ કીર્તન- કોઈક યુવક ના સ્વર મા કર્ણપ્રિય લાગી રહ્યું હતું. ” હરિ ને પમાડે – એ ગુરુ” અને સાચા ગુરુ ની પ્રાપ્તિ દુર્લભ છે. જો તમારી શક્તિ અને જ્ઞાન હોય તો ગુરુ દત્તાત્રેય ની જેમ અન્ય જીવ-તત્વ-પદાર્થ ના સારા ગુણો ને જોઈ ને એમને પણ ગુરુ બનાવી શકો. આપણું તો સહજ ભાગ્ય છે કે પૂ.પ્રમુખ સ્વામી જેવા ગુરુ મળ્યા છે, એમાં પણ હરિ ની દયા છે. સને ૨૦૦૯ ના સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો- પૂ. ધર્મજ્ઞ સ્વામી એ વર્ણવ્યા…..સાર કંઇક આવો હતો…..
- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની બુદ્ધિમત્તા અત્યંત તીવ્ર છે. કોઈ પણ સમસ્યા નો ઉકેલ એમની પાસે સહજ હોય છે……IIM-Kolkata ના પ્રોફ. ગૌરાંગ ચટ્ટોપાધ્યાય સાથે નો સંવાદ દર્શાવે છે કે – આપણે અહં શૂન્ય બની ને, બધું જ એક હરિ પર છોડી ને, સાવ હલકા ફૂલ થઇ ને પણ આટલા મોટા સંપ્રદાય ની જવાબદારી સહજ પણે નિભાવી શકાય છે.
- એક ભગવાન જ સર્વ ના કર્તા-હર્તા છે….એટલે આપણે કઈ ફિકર કરવી જ નહી. આદિ ને અંત પણ એ જ છે. આપણે આપણા કર્મ પુરેપુરા કરવા…..અને એ કર્મ વચ્ચે પણ હરિ ને એક પળ પણ ન વિસરવા……
- આપણી આવરદા- હરિ નક્કી કરે એટલી જ હોય……આથી બધું એ જ નક્કી કરે….પોતાનું ધાર્યું ક્યારેય ન થાય.
એ પછી, પૂ સંતો ના મુખે કીર્તન થયા. ” ‘કે બોલ્યા શ્રીહરિ રે…કે સાંભળો નરનારી હરિજન…..” – શ્રીજી એ જે પોતાના મુખે , પોતાનું સ્વરૂપ અને પોતાના ધામ ના વિષે- હરિભક્તો ને કહ્યું- એ પ્રેમાનંદ સ્વામી એ પદ- રચિત કરી લીધું. એ જ રીતે પૂ. પ્રેમ વદન સ્વામી ના સ્વરે- ” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..” કીર્તન પૂ. પ્રમુખ સ્વામી ના મહિમા માટે ગવાયું. ત્યારબાદ, પૂ. પરમાનંદ સ્વામી , જેવા વિદ્વાન સંત દ્વારા- ” સત્સંગ નો મહિમા” પર વિસ્તૃત પ્રવચન થયું. એનો ટૂંક મા સાર કંઇક આવો હતો.
- સત્સંગ એ એક મકાન સામાન છે- કે જેનો પાયો મજબુત ન હોય તો- ગમે તેટલો જુનો કે ગાઢ સત્સંગ હોય- છુટતા વાર નથી લાગતી.
- ગઢડા અંત્ય ના ૨, ૨૧- વચનામૃતો મા શ્રીજી એ સ્વયં કહ્યું છે કે- ” સત્સંગ અલૌકિક છે….જેના દ્વારા જ ભગવાન ની પ્રાપ્તિ સહજ બને છે” આથી જ સત્સંગ નો પાયો દ્રઢ જ રાખવો.
- જીવા ખાચર, આલૈયા ખાચર, માંછીયાવ ના ફઈબા….જેવા હરિભક્તો નો સત્સંગ જુનો હતો….મોટો હતો પણ એના પાયા કાચા હતા આથી- એ લોકો શ્રીજી નો રાજીપો પ્રાપ્ત ન કરી શક્યા…..
- લોયા ૧૭ ના વચનામૃત પ્રમાણે- જીવ નો પાયો…આધાર જ સત્સંગ છે…..આથી જીવ મા પહોંચે તેવો સત્સંગ કરવો.
- જો સમગ્ર વચનામૃત મા સત્સંગ નો મહિમા સમજવો હોય તો ૬ નિયમ દ્રઢ કરવા…….
- નિયમ ધર્મ મા દ્રઢતા ( ગ.પ્ર.૫૪)
- સત્સંગ નો મહિમા જાણવો અને એ પ્રમાણે વર્તવું
- સત્સંગ નો દ્રઢ પક્ષ રાખવો- જીવ જેટલો પક્ષ રાખવો અને વિપરીત પરિસ્થતિ ઓ મા પણ ડગવું નહી.( ગ.પ્ર.૭૮; ગ.મ. ૬૧)
- ગુણ-ગ્રહી ની દ્રષ્ટી રાખવી- સંતો ના હરિભક્તો ના ગુણ લેવા….( લોયા-૫)
- કથા વાર્તા ની અખંડ વૃતિ રાખવી…..
- હરિ સાથે શુધ્ધ પ્રીતિ રાખવી…….
પૂ.પરમાનંદ સ્વામી ની પ્રવચન ની સ્ટાઈલ રસપ્રદ છે. એક વાર લાભ લઇ જો જો….મજા આવશે.
ત્યારબાદ, અમુક જાહેરાતો થઇ – જેવી કે…..
- આવતા બુધવારે – એકાદશી છે….ધનુર્માસ ચાલે છે આથી સ્વામિનારાયણ મહામંત્ર – ધૂન મા બધાએ ભાગ લેવા પધારવું….
- આર્ષ ( AARSH) , ગાંધીનગર અક્ષરધામ – ખાતે આવતા શનિવારે ( ૨૪/૧૨) પૂ. શ્રીહરિ સ્વામી દ્વારા ” સંત નિર્ગુણ દાસ” પર પ્રવચન છે. અવશ્ય લાભ લઇ શકાય…..
અંતે એક વીડીઓ દર્શન ની જાહેરાત થઇ પણ ટેકનીકલ ક્ષતિ ને કારણે એ ન થયું, અંતે સભા નું સમાપન થયું.
આમ, રવિસભા- જ્ઞાન સભા થી વિશેષ થઇ રહી છે, અને એનો માહોલ, તમે ત્યાં હાજર હો તો જ જાણી શકો…..તો, બસ આ ભક્તિ યાત્રા મા સાથે રહો….
જય સ્વામિનારાયણ….
રાજ
Tags: આર્ષ, ધનુર્માસ, ધર્મજ્ઞ, નિર્ગુણદાસ, પરમાનંદ, રવિસભા, વડતાલ, સત્સંગ